એક પંડિત.
બીજો એક હતો બાવો.
તેઓ એક સાથે જ મુસાફરી કરતાં હતા.

મુસાફરીમાં પંડિતજી અને બાવાના બધાં જ પૈસા ખલાસ થઈ ગયા. ઉનાળાના
દિવસો હતા. ખરો બપોર થયેલો પણ પાણી ન મળે,આ બેઉને ભૂખ પણ લાગેલી.

બેઉને ભૂખ અને તરસ લાગી હતી.જીવ કચવાતો હતો.તેઓને થાક લાગવાથી
તેમના પગ લથડતા હતા.તેઓ હવે ધીરે ધીરે ચાલતા હતા.સામેથી તેમણે એક
વાણિયો આવતો જોયો.વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખથી
પરેશાન હતો. આ બધાં જ એક ઝાડ નીચે બેઠાં.બધાની તકલીફ સરખી હતી. બધાં
એ વિચારી લીધું. ‘આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ પણ ખૂબ જ લાગી છે.હવે
રહેવાતું નથી. શું કરવું?

થોડો સમય વિચાર કરી તેઓએ તરકટ કરવાનું વિચારી લીધું.આ રીતે તેઓ
તરકટ કરી ને  કંઈક ખાવા-પીવાનું શોધવાનું વિચારતા હતા. તેઓએ સરખા ભાગે
જમવાનું વહેંચી લેવાનું આયોજન કરી લીધું હતું. જે જડે તે સૌનું સરખા ભાગે. આવું
વિચારી તેઓ ચાલતા ચાલતા શેરડીના ખેતર પાસે આવી ગયા.
પંડિત કહે : ‘ઊભા રહો. હું ખેડૂતને વાતમાં છેતરી તેના
ખેતરમાંથી  શેરડી લઈ આવું છું.’
પંડિત તો અંદર ગયો. ‘જય ભગવાન બોલી ખેડૂતણી પાસે ગયો. તેણે
ખેડૂત ને ભગવાન અને દાન વિશે વાત કરી. શેરડીનું દાન કેટલું ભગવાન ન
દરબારમાં કેવી રીતે નોધાશે તેની સમજ આપી. આ દાન કેટલું કમાવી આપે.આ
દાન થી પરભવમાં  કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા પંડિતે મહેનત કરી.

પટેલ કહે : ‘પંડિત જી , મારે પરભવનું કાંઈ નથી જોઈતું. મારે થોડાં ભંડાર
ભર્યા છે કે હું બીજાને દાન આપુ.’પંડિત તો વીલા મોંએ પાછો આવી ગયો. બાવો કહે
: ’વાંધો નહિ. એને આ ભવમાં જ ફાયદો થાય તેવી જાદુઈ વાત અને લાલચ આપી
શેરડી લઈ આવું છું.’ બાવો તો ખેતરમાં જઈ  ‘અહાલેક’ કરીને ઊભો રહી ગયો.
હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને હાથમાંથી રાખ કાઢી ખેડૂતને બતાવી તેના
હાથમાં આપી. ખેડૂત કહે : ‘બાપજી મહારાજ, તમારી ચપટી રાખને હું શું કરું ? મારા
ચુલામાં રોજ રાખના મોટા ઢગલા નીકળે છે. એના કરતાં એમ કરો, તમે જાદુ કરી
હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો ને.

બાવાજી પણ વીલા મોંએ પાછા આવી ગયા..

હવે વાણિયાનો વારો.
વાણિયો સમજી ગયો હતો.વાણિયાને થઇ ગયું કે અહીંયા કંઈ સહેલાઈથી
શેરડી મળે તેમ નથી. ખેડૂતને બરાબર ગળે ઉતરે તેવું કોઈ ગતકડું કરવું પડશે.
વાણિયાએ રોફભેર ખેતરમાં જઈ ખેડૂતને કહ્યું : ‘કાં પટેલ, આ શેરડી એમને એમ
રાખવી છે કે ગોળ બનાવી વહેંચવો છે ?’ પટેલ કહે : ‘આવો આવો શેઠ, શેરડી એમને
એમ થોડી રાખવાની હોય. ગોળ લેવો હોય તો બોલો કેટલા ગોળનો ખપ છે ?’

વાણિયો કહે : ‘આમ તો સો મણ જોઈએ છે પણ ભાવ પોષાય એવો હોય તો
બીજા પચાસ મણ પણ લઉં .’
પટેલ કહે : ’એમ બોલોને. ચાલો ભાવતાલ નક્કી કરીએ.’
પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ કરતાં હતા. ગોળ તોળવાનો
દિવસ પણ નક્કી કર્યો. બધું કર્યા પછી વાણિયે રજા લીધી પણ થોડુંક ચાલીને પાછો
ફર્યો અને કહે : ‘અરે પટેલ, આ તમારી શેરડીના રૂપ-રંગ જોઈ મેં સોદો તો નક્કી કરી
નાખ્યો પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જોયાં જ નથી. શેરડી બરાબર મીઠી નહિ
હોય તો ગોળમાં મીઠાશ આવશે ?’ પટેલ કહે : ’એવું તે કંઈ હોય. મારી શેરડી તો
આખા પંથકમાં વખણાય છે. આ થોડાંક સાંઠા લઈ જાવ અને ખાજો એટલે તમને
ખાતરી થઈ જશે.’

 

પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના વીશ સાંઠા પસંદ કરી, વાઢીને
વાણિયાને આપ્યા. વાણિયો મનમાં મલકાતો સાંઠા લઈને બહાર આવ્યો.
પછી તો ભાગ પાડવાનું શરું થયું. શરત મુજબ સૌના સરખેસરખા ભાગ
પાડવાના હતા. પણ વાણિયો બરાબર પાકો હતો. મનમાં કહે: ’આ શેરડી મારી
ચાલાકી ને હોંશિયારીથી મળી છે્. તમે લોકોએ તો શેરડી લીધા વગર આવી ગયા
હતા. આમાં ખરો ફાયદો તો મને જ થવો જોઈએ. હું થોડો મૂરખ છું કે હું માથાફોડ કરું
ને ભાગીદારોને મફતમાં જલસા કરવા દઉં.’

વિચાર કરવાનો ડોળ કરી વાણિયો કહે :
‘જૂઓ ભાઈ ! પુરાણોમાં લખવામાં આવેલ છે કે સાધુ અને પંડિત નો
ભાગ  પહેલાં કરવો જોઈએ.
એમ કહી વીશે સાંઠાના ઉપલા ભાગ કાપી કાપીને પંડિત ને આપી દીધો.
પંડિત તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો. પછી પંડિત કહે : ‘નંદ સો કંદ. નંદ
એટલે વાણિયો.વાણિયાને વચલો ભાગ આપવાનું પુરાણો માં લખાયું છે..’આમ

બોલી  બધી શેરડીના વચલા કટકા વાણીયાએ પોતે લઈ લીધા.પછી બાકી તો
થડિયાના ભાગ રહ્યા એટલે વાણીયો કહે : ‘દાઢી સો ભોથાં. પુરાણો મા લખાયું છે
તેમ બાવાજીને ભોથાં એટલે કે થડિયા દેવાં જોઈએ.’ બાવાજીએ પણ રાજીના રેડ થઈ
પોતાનો ભાગ લઈ લીધો. આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે
બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કરવાનું શરું કરી દીધું. સાથે પંડિત અને
બાવાજીને રાજી પણ કરી દીધા. વાણીયાએ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો
ભાગ પોતે લઈ લીધો. આ પછી બધાં જ ભાગીદારો રાજીખુશીથી છૂટા પડી સૌ
પોતપોતાને જવાનું હતું એ તરફ આગળ વધી ગયા.